Showing posts with label NoisySilence1. Show all posts
Showing posts with label NoisySilence1. Show all posts

Tuesday, 21 April 2015

આકાશવાણી યુગ : ક્રિકેટ થી લઈને સમાચાર સુધીની સફર

'એક ઝાડ માથે ઝુમખ્ખડુંઝુમખ્ખડે રાતા ફુલ રેભમ્મર રે રંગ ડોલરીયોહોય કે 'હાલોને કીડીબાઈની જાનમાંજેવા લોકગીતોનો રસાસ્વાદ એ સમયે માત્ર આકાશવાણીએ કરાવ્યો હવે ક્રિકેટ જોવાનો કંટાળો આવે છે ત્યારે ક્રિકેટ સાંભળની મજા આવતી.



નાનપણમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છની સંસ્કૃતિનો પરિચય કરાવાનું અને તેના પ્રત્યે ખાસ લગાવ ઊભો કરવાનું શ્રેય રેડિયોના ફાળે જાય છે. લોકગીતો, લગ્નગીતો, બાળગીતો, જોડકણાં, વાર્તાઓ, પ્રાદેશીક માહિતી, પહેરવેશ, બોલી, પ્રાદેશીક સંગીત અને ભજનો આ બધાનો ઊંડાણથી તો નહીં પરંતુ ઠીકઠીક પ્રમાણમાં પરિચય આકાશવાણીએ બાળપણમાં જ કરાવી દીધો હતો. જ્યારે હું ઝવેરચંદ મેઘાણી વિશે તેમના નામ સિવાય કશુ જ જાણતો પણ ન હતો ત્યારે મે રેડિયો પર તેમની નવલકથા 'વેવિશાળ' સાંભળી લીધી હતી. કચ્છની સંસ્કૃતિ અને તેમના પ્રાદેશિક સંગીત વિશે અને કચ્છી બોલી પ્રત્યે આકર્ષણ ઊભું કરાવનાર આકાશવાણી ભૂજને યાદ કરવું જ રહ્યું. ભૂજ સ્ટેશન પરથી પ્રસારિત થતો કાર્યક્રમ 'કુંજલ પાંજે કચ્છ જી' મારો ફેવરીટ હતો. કેમ કે તેમાં ત્યાંના સ્થાનિક કલાકારોના ગીતો, સંગીતો અને વાતો રજૂ કરવામાં આવતી હતી. સમગ્ર કાર્યક્રમમાં કચ્છી બોલીની મિઠાસ છલકાઈ આવતી. ખાસ સ્મૃતિમાં નથી, પરંતુ કદાચ આ કાર્યક્રમ કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવતો હતો. કચ્છી બોલી વધારે સમજાતી નહોતી પણ મીઠી લાગતી હતી. હજી પણ મને કચ્છી બોલી જેટલી એકપણ બોલી મીઠી નથી લાગતી. કચ્છ અને મેઘાણી પ્રત્યે વિશેષ લાગણી કંઈક અંશે આકાશવાણીને આભારી છે.

'એક ઝાડ માથે ઝુમખ્ખડું, ઝુમખ્ખડે રાતા ફુલ રે, ભમ્મર રે રંગ ડોલરીયો' હોય કે 'હાલોને કીડીબાઈની જાનમાં' જેવા લોકગીતોનો રસાસ્વાદ એ સમયે માત્ર આકાશવાણીએ કરાવ્યો. હાલમાં અનેક માધ્યમો દ્વારા આ લોકગીતો સાંભળી શકાય એમ હોવા છતાં હવે એ લગભગ સંભળાતા બંધ થયા છે. કવિ દુલાભાયા કાગ, હેમુ ગઢવી, ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવો પ્રત્યે જાણવાની તાલાવેલી આકાશવાણીના કાર્યક્રમોને કારણે ઊદભવી એવું માનવામાં મને લેશમાત્ર શંકા નથી. લોકવાર્તાઓ, લોકસંગીત, સુગમ સંગીત, લોકગીત, ભજનો અને સાથે હિન્દી ફિલ્મી ગીતોની કોકટેઈલ આકાશવાણીએ અવાજ દ્વારા પીવડાવી.

હવે થોડી વાત ક્રિકેટના આંખે દેખ્યા અહેવાલની એટલે કે ક્રિકેટની રેડિયો કોમેન્ટ્રીની. 1982 બાદ દેશમાં કલર ટેલિવિઝનની શરૂઆત ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં થઈ. જો કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીને પણ અમારે ત્યાં ગામડાંમાં પહોંચતા એશિયાડ પછી પણ 15થી વધુ વર્ષનો સમય લાગ્યો. ગામમાં કોઈ એક શ્રીમંત વ્યક્તિના ઘરે એન્ટેના વાળું ટીવી આવ્યું હોય તે અમારા માટે માત્ર વાત કરવા સિવાય કોઈ કામમાં આવે તેમ હતું નહિં. હાલ આપણે ક્રિકેટની મેચ કલર ટીવી, એલઈડી કે સિનેમા ઘરમાં જોઈએ છીએ. 1996 બાદ મે રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાની શરૂઆત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે શારજાહમાં રમાતી મેચ હોય કે ઈંગ્લેન્ડ સામેની લોર્ડસમાં રમાતી મેચ હોય માત્ર કોમેન્ટ્રી દ્વારા તેની મજા માણવાનો લ્હાવો કંઈક અલગ હતો. સિક્સ હોય કે ફોર અમે તેની તિવ્રતા માત્ર અવાજના આધારે કલ્પી છે. 'ઔર એ લગા ડાબર ચ્વનપ્રાસ ચૌકા' ડાબર વાળા એ સમયે રેડિયો કોમેન્ટ્રીમાં આ રીતે જાહેરાત કરતા. 'શ્રીનાથ બોલિંગ કે લીયે તૈયાર, સામને ઈન્ઝમામ-ઉલ-હક, શ્રીનાથ બોલિંગ કે લીયે જા રહે હૈ, એ શોર્ટ પીચ બોલ, હકને સન્માનજનક રીત સે આગે આકે સીધા ખેલા, બોલ સીધી ગઈ શ્રીનાથ કે હાથ મે, કોઈ રન નથી.' ભારતની જીત હોય કે હાર કોમેન્ટ્રી સાંભળવાની મજા આવતી. હવે ક્રિકેટ જોવાનો કંટાળો આવે છે ત્યારે ક્રિકેટ સાંભળની મજા આવતી. જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી આવવાની હોય ત્યારે મેચના સમય દરમિયાનના આકાશવાણી પરના બીજા બધા કાર્યક્રમો રદ્દ થઈ જતા. ઘણી વાર મનપસંદ કાર્યક્રમ અઠવાડિયામાં એકવાર આવવાનો હોય અને એ પણ ક્રિકેટને કારણે રદ્દ થાય તો રેડિયો સ્ટેશન પર બહુ જ ગુસ્સો આવતો.

હવે થોડી વાત ઑલ ઈન્ડિયા રેડિયો પરથી પ્રસારીત થતા સમાચારો અંગે. દરરોજ સાંજે વાળુ (ડિનર) કરતી વખતે દિલ્હીથી પ્રસારીત થતા ગુજરાતીમાં સમાચાર સાંભળવાનો જાણે નિત્યક્રમ થઈ ગયો હતો. આકાશવાણી દિલ્હીથી પ્રસારીત થતા સમાચારો સાથે આજે પણ નાતો જળવાઈ રહ્યો છે. હવે રેડિયો સેટ તો નથી પણ ઈન્ટરનેટ પર AIR NEWSની વેબ પરથી સાંભળું છું. જો કે હવે તેનું સાતત્ય જળવાતું નથી. સૌથી શુદ્ધ ઉચ્ચારણો અને સરળ રીતે સમગ્ર ઘટના અંગે માહિતી આપવાની સચોટતા માત્ર ઓલ ઈન્ડિયા રેડિયો પાસે જ છે. આશુતોષ જૈન, નિલિમા, ક્લેયર નાગ, આશા નિવેદિ હોય કે બીજા સમાચાર વાચક, માત્ર તેમના અવાજ પરથી જ નામની ખબર પડી જતી. 'પ્રસ્તુત હૈ સમાચાર પ્રભાત'ની ટેગલાઈનથી શરૂ થતા સમાચારો આપણે દેશ-દુનિયાની ઘટમાળ અંગે ટુંકમાં સચોટ માહિતી આપે છે. આ બધામાં ઓલ ટાઈમ ફેવરીચ સરીતા બરારા. આજે તેમની ઉંમર કેટલી હશે તેની ખબર નથી, પરંતુ મારી કિશોરાવસ્થામાં તેમના અવાજે મારા પર રીતસરનો કબ્જો જમાવ્યો હતો. અનેક એવી સવારો હતી જેમાં માત્ર તેમના રિપોર્ટસ સાંભળવા માટે જ હું સમાચારો સાંભળતો.


અમારા માટે ગામડાંમાં રેડિયો મનોરંજન અને માહિતી માટેની બેવડી ભૂમિેકા ભજવતો. રેડિયો જાણે અમારી સાથે ઘરમાં જ વસતો, તેના વિના ચાલે નહિં. રેડિયો બગડે તો જાણે દિવસ બગડે. હાલના એફએમ પર આવતા આર.જે.ના અવાજો હવે આકર્ષિત કરી શકતા નથી. આર. જે.ના અવાજ મને માત્ર મનોરંજન માટે વગાડાતા બોલિવૂડના ઘોંઘાટીયાં સંગીત જેવા લાગે છે. જો કે હવે એ યુગમાં પરત ફરી શકાય એમ નથી. આકાશવાણી હવે ફરી તેના સુવર્ણયુગમાં પરત ફરે એવી કોઈ શક્યતા હાલમાં તો દેખાતી નથી. બસ હવે એ દિવસોને યાદ કરીને આકાશવાણીની આ સભાને અહિં જ વિરામ આપીયે

Saturday, 18 April 2015

આકાશવાણી યુગ : મારા બાળપણનાં રેડિયો સાથેના સંસ્મરણો.

નાનપણમાં આકાશવાણી સાથે જોડાયેલાં કેટલાંક સ્મરણો કે જે ક્યારેય પણ ભૂલી શકાશે નહિં, રેડિયોએ ભજવેલી માહિતી અને મનોરંજનની બેવડી ભૂમિકાની કેટલીક યાદગાર વાતો. 


આકાશવાણીનું નામ સાંભળતા જે રોમાંચ થાય છે, તે હવે એફ. એમ. રેડિયો કે ટેલિવિઝનનું નામ સાંભળતા નથી થતો. આકાશવાણી શબ્દ હજી પણ ક્યાંક નાનપણનાં સ્મરણોમાં ખેંચી જાય છે. સામે જાણે સરકી ગયેલો સમય આવીને ફરીથી ઊભો રહે તેવો અહેસાસ થાય છે. ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં જન્મેલી પેઢીને કદાચ આકાશવાણીની જાહોજલાલી અને લોકો સાથેનો તેનો કેવો નાતો હતો તે નહીં સમજાય. મેં રેડિયોનો મધ્યાંતર તો નહીં પરંતું તેનો ઉતરાર્ધ યુગ જીવ્યો છે. દરજીની દુકાનથી લઈને ગૃહિણીના કિચન સુધી, શાળામાં શિક્ષક પાસે મેચની કોમેન્ટ્રીથી લઈને ખેતરના શેઢે ભજન સાંભળતા ખેડુત સુધી આકાશવાણી પહોંચેલું હતું. બાળકોના કાર્યક્મો, સમાચાર, ખેતી વિશેની માહિતી હોય કે બોલિવૂડના ગીતો, યુવાનો હોય કે વડીલો દરેક માટેના કાર્યક્રમો આકાશવાણી પ્રસારિત કરતું. હવે સ્માર્ટફોનના યુગમાં રેડિયોનો એ યુગ ફરી જોવા મળવાનો નથી.

સૌરાષ્ટ્રનાં ગામડાંમાંથી આવતો હોવાથી મે આકાશવાણી રાજકોટ, આકાશવાણી ભૂજ અને વિવિધ ભારતી રેડિયો સ્ટેશનોનાં કાર્યક્રમોને ભરપૂર માણ્યાં છે. સવારે આકાશવાણી રાજકોટ પર આવતા ભજનોથી અમારા ગામડાંની સવાર પડતી. હેમંત ચૌહાણ, દિવાળીબેન ભીલ હોય કે પ્રફુલ્લ દવેને (બીજા પણ ઘણાં કલાકારો)માત્ર તેમના અવાજથી અમે ઓળખી લેતા. આ બધા કલાકારોને જોવાનો મોકો તો તે બાદ ઘણા સમયે જુદી જુદી જગ્યાઓએ યોજાયેલા ડાયરાઓમાં મળ્યો. જો કે પહેલા જ આકાશવાણીએ અમને તેમના ચાહકો બનાવી દીધેલાં. રેડિયોની સભા શરૂ થાય તે પહેલા ટુંટુંટું.... ના અવાજ બાદ વાગતી ઓપનિંગ મ્યુઝિક ટ્રેક પણ સાંભળવાની મજા હતી. સવારે નવ વાગ્યે વિવિધ ભારતી પર આવતાં નવા ફિલ્મી ગીતો વેકેશનની સવાર જાણે સુમધુર કરી દેતાં. મારો એ મનપસંદ કાર્યક્રમ હતો. સાથે સાથે જ આકાશવાણી ભૂજ પર સૌપ્રથમ શરૂ થયેલો કાર્યક્રમ 'ફોનઈન આપની પસંદ' સુપરહિટ સાબિત થયો. અનેક લોકોનો આ મનપસંદ કાર્યક્રમ હતો. રવિવારે પ્રસારિત થતા આ કાર્યક્મમાં ગુરૂવારે નિર્ધારીત થયેલા સમયે ફોન કરીને આપણે સાંભળવું હોય એ ગીતનું નામ કહેવાનું અને આપણા નામના સાથે મિત્રોના નામ પણ કહેવાનાં. મહિનાઓ સુધી ફોન લાગવાની રાહ જોઈ છે આ કાર્યક્રમ માટે, રવિવારે આ કાર્યક્રમ ફોન પર રેડિયો ઉદઘોષક સાથે થયેલી વાતચીત સાથે પ્રસારીત કરવામાં આવતો. જેમાં આપણે કરેલી વાતચીત અને આપણું મનગમતું ગીત સાંભળવા મળતું. હાલ સ્માર્ટફોન કે ટેલિવિઝન પર વાગતાં ગીતોમાં મને આકાશવાણી પર આવતાં ગીતો જેટલી મધુરતાનો અહેસાસ થતો નથી. વિવિધ ભારતીનો 'સખી સહેલી' કાર્યક્રમ હોય કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતો રવિવાર અથવા ગુરૂવારનો મહિલાઓ માટેનો કાર્યકર્મ હોય, મે ગામડાંઓમાં અનેક અભણ મહિલાઓને આ સાંભળતી જોઈ છે. આ કાર્યક્રમોએ ગામડા્ની મહિલાઓને પત્ર લખતી કરી, તેના દ્વારા તેની વાત કે સમસ્યાઓ અંગે બોલતી કર્યાના દાખલા પણ જોયા છે. એટલે કે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ.

રેડિયો સાથે ખાસ લગાવ છે એટલે કે કેમ, તે તો ખબર નહિ પરંતુ રેડિયો પર પ્રસારીત થતી ખાસ વ્યક્તિ સાથેની મુલાકાતો (ઇન્ટરવ્યૂ)માં જે ડેપ્થ હતી એ હાલના ટી.વી. પર આવાતા ઇન્ટરવ્યૂમાં જોવા મળતી નથી. જૂના ફિલ્મો અને તેના ગીતોનો પહેલો પરિચય મને બપોરે જવાનો માટે પ્રસારિત થતા કાર્યક્રમ 'જયભારતી'એ કરાવ્યો. હાલ પણ એ સમયે રેડિયો પર સાંભળેલું અને મારી કલ્પનાશક્તિ મુજબ કોરિયોગ્રાફ કરેલું કોઈ 50 કે 60ના દશકાનું ગીત ટીવી પર જોવા મળે છે ત્યારે ક્યારેક નિરાશા થાય છે. રેડિયો પર એ સમયે સાંભળતી વખતે સંગીતની સુમધુરતા માણવા મળતી એ જ ગીત ટીવી પર ફિક્કુ પડી જતું લાગે છે. રેડિયોએ લોકોની કલ્પનાશક્તિ ખિલવવામાં બહુમુલ્ય ફાળો આપ્યો છે. યુવાનો માટેનો કાર્યક્રમ યુવવાણી હોય કે મોટેરા માટેનો કાર્યક્રમ ઝાલરટાણું હોય ઘરના દરેક સભ્યો માણી શકે તેવી તેની રૂપરેખા હતી. આકાશવાણીના કેટલાક કાર્યક્રમનાં ઓપનિંગ્સ હજી પણ યાદ છે. જેમ કે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતા કાર્યક્રમ ઝાલરટાણાની શરૂઆતમાં બોલવામાં આવતું કે 'પ્રોઢાવસ્થા વટાવીને પાકટતાની વયે પગ મુકનારા મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ એટલે ઝાલરટાણું ' અને ત્યારબાદ તેની ઝીંગલ વાગતી 'થઈ ગયું ઝાલરટાણું રે મનવા ઝાલર ટાણું'. ગામનો ચોરો કાર્યક્રમ અમારે ત્યાં ગામડામાં ખુબ જ લોકપ્રિય હતો. તેમાં ખેતી અંગેની ઋતુ અનુસાર અગત્યની માહિતી આપવામાં આવતી હતી. ગામમાં મોટાભાગના ઘરે આ કાર્યક્રમ સાંભળવામાં આવતો. આ કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ ભુલી ગયો છું, પરંતું તેની શરૂઆત હજી યાદ છે. આપણે જાણે ગામના ચોરા પર બેઠા હોઈએ અને કોઈ આવીને આપણે કહે એવી રીતે રેડિયો ઉદઘોષક બોલતા 'એ રામ....રામ.... ગીગા,નાજા,હરખા અને સૌ ખેડૂતભાઈઓને મારા રામરામ....રામરામ..' આ લખતી વખતે પણ હજી એ અવાજ અને લહેકો મારા કાનમાં ગૂંજી રહ્યાં છે. ક્યો પાક વાવવાથી લઈને પાકના રક્ષણ અંગેના ઉપાયો, ખેતી નિષ્ણાંતોના ઇન્ટરવ્યુ કે વાર્તાલાપો, ખાતર અને દવા તેમજ પિયત અંગેની સંપૂર્ણ માહિતી ગામના ચોરા કાર્યક્રમમાં આપવામાં આવતી. ગુજરાતના હજારો ખેડૂતો માટે આ કાર્યક્રમ આશિર્વાદરૂપ સાબિત થયો છે. 

બાળકો માટેનો 'અડકો દડકો' કાર્યક્રમનાં સંચાલક રેણુ આંટી જાણે અમારી બાજુમાં જ રહેતા હોય અને જાણે અમને વાર્તા કહેવા કે બાળગીત સંભળાવવા આવવાના હોય એ રીતે અમે તેની રાહ જોતાં. કાર્યક્રમના બીજા દિવસે શાળામાં આ કાર્યક્રમનું ઝીણવટભર્યું વિશ્લેષણ અમે કરતાંસૌથી વધારે ચર્ચા અમે આકાશવાણી રાજકોટ પરથી પ્રસારીત થતી 'જીથરાભાભા'ની વાર્તાની કરી છે. વાર્તા જે દિવસે આવવાની હોય ત્યારે દિવસમાં અનેકવાર તેની વાતો અનાયાસે થઈ જતી. વાર્તા ઘણી વાર સાંભળી હોવા છતાં ક્યારેય કંટાળો આવ્યો ન હતો. ખબર નથી કે એ વાર્તામાં શું હતું પણ વડિલોને પણ મે એ વાર્તા સાંભળતા અનેકવાર જોયા છે. જીથરોભાભો અમારી વચ્ચે રહેતી કોઈ વ્યક્તિ હોય એવી રીતે તેની સાથે લગાવ થઈ ગયો હતો. આ હતો આકાશવાણીના અવાજનો જાદુ.
કેવી રીતે રેડિયોએ સૌરાષ્ટ્ર તથા કચ્છની સંસ્કૃતિ જોડે પરિચય કરાવ્યો તથા સમાચારો અને્ ક્રિકેટ કોમેન્ટ્રી અંગેની વાતો હવે પછીની બ્લોગ પોસ્ટમાં.

Tuesday, 14 October 2014

કાશ્મિરના લોકોમાં આર્મી અને પેરામિલિટરી ફોર્સ સામે કેમ રોષ ફાટી નિકળ્યો.

કેટલાક એવા વિવાદાસ્પદ બનાવો અને નિર્દોષ લોકોના મોત, પાકિસ્તાન, સ્વતંત્રતા માગતા જેહાદી સંગઠનો આ બધાને કારણે કાશ્મિરમાં ભારત વિરોધી વલણ ફેલાયું.
Photo courtesy: www.rediff.com

કાશ્મિરમાં આર્મી તથા પેરામિલિટરી ફોર્સ સામે લોકોના વિરોધ માટે દેખીતી રીતે બે કારણો જવાબદાર છે તેમાં પહેલું કારણ સતત અલગતાવાદી સંગઠનો દ્વારા યુવાનોની ભારત વિરૂદ્ધ કરવામાં આવી રહેલી ઉશ્કેરણી અને બીજું આર્મી તથા પેરામિલિટરી ફોર્સ દ્વારા AFSPA હેઠળ કરવામાં આવેલી વિવાદાસ્પદ કામગીરી છે. 1990 બાદ કાશ્મિરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેમાં કથિત રીતે લશ્કરી કાર્યવાહીમાં નિર્દોષ લોકોનાં મોત થયાં. રેપ અને લોકો ગુમ થવાના બનાવો તથા ક્રકેડાઉન અને કર્ફ્યુને કારણે કાશ્મિરમાં સતત આર્મી સામે રોષ વધતો ગયો. ઓછામાં પુરું આવી ઘટનાઓ અલગતાવાદી સંગઠનો માટે ફાયદારૂપ સાબિત થઈ અને ભારત તથા ખાસ કરીને આર્મી સામે લોકોને ઉશ્કેરવા માટે આવા બનાવોનો ઉપયોગ અલગતાવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો. બીજી તરફ AFSPA લાગુ હોવાથી આર્મીના જવાનો સામે તપાસ પણ થઈ શકે નહીં. આવી બધી બાબતોને કારણે લોકો સતત આર્મી વિરોધી અને અંતે ભારત વિરોધી વલણમાં ઘસડાતા ગયા.
આવા જ કેટલાક બનાવો જેના કારણે AFSPA અળખાણો બન્યો અને આર્મી સામે જમ્મુ-કાશ્મિરના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો.
1.   
  •   ગાવાકાદલ હત્યાકાંડ, 20 જાન્યુઆરી 1990ના રોજ પ્રદર્શન કરી રહેલા ટોળાએ સીઆરપીએફના જવાનો સામે પથ્થરમારો કર્યો, જવાબમાં સીઆરપીએફના જવાનોએ ગોળીબાર કરતાં 35 લોકોનાં મોત થયાં, પાછળથી આ આંકડો વધીને 50 થયો. જો કે બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે કથિત રીતે આ આંકડો 280નો હતો.
  •   ઝકુરા, ટેંગપૂરા હત્યાકાંડ, કાશ્મિર વેલીમાં 1 માર્ચ, 1990ના રોજ યુ.એન. રિઝોલ્યૂશન અંતર્ગત કાશ્મિરના ભવિષ્ય અંગે સર્વમત્ત લેવાની માગણી સાથે પ્રદર્શન કરી રહેલા અને શ્રીનગર તરફ  માર્ચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર આર્મી દ્વારા થયેલા ગોળીબારમાં 47 લોકોના મોત થયાં.
  •  કુનાન પોશપોરાનો બનાવ, 23 ફેબ્રુઆરી 1923ના રોજ જમ્મુ-કાશ્મિરના કુપવારા જિલ્લાના
    www.swadeshnews.com
    કુનાન પોશપોરા ગામમાં ભારતીય આર્મી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કથિત રીતે ભારતીય આર્મી દ્વારા તે રાત્રે 53 મહિલાઓ પર ગેંગરેપ કરવાના આરોપ લાગ્યા. જો કે કેટલાક માનવ અધિકાર સંગઠનો દ્વારા આ સંખ્યા 100 જેટલી હોવાનું કહેવામાં આવે છે. જો કે આ મામલે થયેલી તપાસમાં આ આરોપો પાયાવિહોણા હોવાનું જણાવામાં આવ્યું.
  •  લાલ ચોકનો બનાવ, આશરે 11:30 pm, 9 એપ્રિલ 1993ના રોજ BSF દ્વારા શ્રીનગરના લાલ ચોકમાં સનાતન ધર્મ સભા નામનો બેઝ ખાલી કરી દેવામાં આવ્યો. 10 એપ્રિલના રોજ સનાતન ધર્મ સભા કે બેઝ કેમ્પ હતો તેમાં આગ લાગી, આ આગ આજુબાજુના બિલ્ડિંગ્સમાં પણ ફેલાવાની શરૂઆત થઈ. BSFના જવાનો ત્યાં આવ્યાં અને કથિત રીતે પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, જેથી આગમાં ફસાયેલા લોકો બહાર ના નિકળી શકે, ઘણાં લોકોએ પાછળ આવેલી જેલમ નદીમાંથી થઈને ભાગવાનો પ્રયત્ન કર્યો, કથિત રીતે BSFના 20 થી 30 જવાનોએ શિકારામાં બેસીને ભાગવાનો પ્રયત્ન કરનાર લોકો પર ગોળીબાર કર્યો. આ બનાવમાં 59 ઘર, 190 નાની દુકાનો, 59 સ્ટોર્સ, 2 ઓફિસ બિલ્ડિંગ્સ, 5 કોમર્શિયલ બિલ્ડિગ્સ અને 2 સ્કુલો બળીને ખાખ થઈ ગઈ. જ્યારે અંદાજે 125 જેટલા લોકોનાં મોત થયાં.
  •  બીજબેહરા હત્યાકાંડ, 1993, ઓક્ટોબરમાં આતંકવાદીઓ બીજબેહરમાં આવેલી હજરતબાલ મસ્જિદમાં છુપાયેલા હોવાની માહિતી મળતાં આર્મીએ મસ્જિદને ઘેરી લીધી, મસ્જિદના ઘેરાવાના આઠમા દિવસે જામિયા મસ્જિદમાં 10000 જેટલા લોકો ભેગા થયાં અને શુક્રવારની નમાજ બાદ તેઓ શેરીઓમાં આઝાદીના સ્લોગન સાથે તથા હજરતબાલ મસ્જિદમાંથી આર્મીને હટી જવાની માગ સાથે પ્રદર્શન શરૂ કર્યા. જેમાં ટોળાને કાબુમાં લેવા માટે કરવામાં આવેલા ફાયરિંગમાં 51 લોકોના મોત થયાં.
  • સોપોર હત્યાકાંડ, સોપોર બારામુલ્લા જિલ્લાનું મોટું ગામ છે અને વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વનું છે. 6 જાન્યુઆરી, 1993ના રોજ JKLFના આતંકવાદીઓએ સોપોર નજીક આવેલા બાબા યુસુફ લેન પર ફરજ બજાવતા BSFના જવાનો પર હુમલો કર્યો જેમાં 1 જવાન શહિદ થયો. ત્યારબાદ કથિત રીતે આર્મીએ ત્યાંના લોકો પર ફાયરીંગ કર્યું અને ઘરોને સળગાવી નાખ્યાં. જેમાં કથિત રીતે 55 લોકોના મોત થયાં. ભારતીય સરકારના અધિકારીક રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 250 દુકાનો અને 50 ઘર સળગાવાયાં હતાં, જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ આંકડો 450 જેટલો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવો જેવા કે 2006માં દુધીપુરામાં આતંકવાદીઓ સામેના ક્રોસ ફાયરીંગમાં 3 ક્રિકેટ રમતા છોકરાઓના મોત થયાં જેના કારણે કાશ્મિરમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો થયાં, 2009 શોપીયન રેપ અને મર્ડર કેસ, બારામુલ્લા કિલીંગ 2009, ખાઈગામ કિલીંગ 2009, રામબાન ફાયરીંગ વગેરે જેવી ઘટનાઓએ આર્મી સામેની નફરતમાં વધારો કર્યો.
ઉપરાંત અલગતાવાદી સંગઠનોએ આવા બનાવો બાદ કાશ્મિરી યુવકોમાં ભારત વિરૂદ્ધ ઝેર ફેલાવાનું શરૂ કર્યું, પાકિસ્તાને પણ લાગ જોઈને અલગતાવાદીઓને મદદ કરવાનું શરૂ કર્યું. ઘણા પ્રદર્શનો તો અલગતાવાદી સંગઠનો પ્રેરીત હોવાનું પણ કહેવામાં આવ્યું. આ બધી ઘટનાઓના કારણે કાશ્મિરની પ્રજામાં ભારતીય આર્મી અને AFSPA સામે વિરોધનો વંટોળ શરૂ થયો. આર્મી હટાવી લેવાની માંગ સાથે ભારતથી આઝાદ થવા માટે સર્વમતની માગણીઓ શરૂ થઈ. પાકિસ્તાન અને ચીન સાથે સરહદ મળતી હોવાના કારણે કાશ્મિરમાંથી સૈન્ય હટાવી શકાય તેવી કોઈ શક્યતા નથી. ઉપરાંત વારંવારની માગ છતાં AFSPAને હટાવી લેવા તથા તેમાં ફેરફાર કરવા માટે કોઈ ચર્ચા વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી નથી. છાશવારે પાકિસ્તાન તરફથી સરહદ પારથી થતા ગોળીબારો અને અલગતાવાદીઓ સ્પોન્સર્ડ પ્રદર્શનો તથા કર્ફ્યુને શાંતિ સમજીને જીવનારી પ્રજાની લાગણીઓ તથા દુ:ખનો અંદાજ કદાચ આપણા માટે મુશ્કેલ છે. આપણે કાશ્મિર એટલે પર્યટન, શિકારા, જેલમ, દાલ લેક, બર્ફ અને હિમાલય આથી વધારે જાણવાની તસ્દી લેતા નથી. ટ્રાફિક પોલીસ દ્વારા માગવામાં આવતા ડ્રાયવિંગ લાયસન્સ બતાવતી વખતે પણ પાંચ વગદાર લોકોને ફોન કરીને રોફ જમાવનારા આપણને કદાચ આપણી હયાતી અને નાગરીકત્વનો પૂરાવો ગણાતા ઓળખપત્ર લઈને સતત ફરવાનું નહીં સમજાય.



 

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...