Showing posts with label Gujarati Bhasha. Show all posts
Showing posts with label Gujarati Bhasha. Show all posts

Wednesday, 3 January 2018

શિયાળો એટલે સ્વાસ્થ્ય કરતાં વધારે મહેનતની ઋતુ

Courtesy: ht.com

શિયાળે શિતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

કવિ દલપતરામની કવિતાની આ ચાર પંક્તિઓ શિયાળાનું જાણે આબેહૂબ વર્ણન કરી જાય છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે ઠંડી ઠીક ઠીક વધી રહી છે. 

ઠંડીનો પારો કેટલો નીચે ઊતર્યો તેના વિશે વિવિધ માધ્યમો દ્વારા સતત માહિતી અપાઈ રહી છે. ઉપરાંત વિવિધ વેબસાઇટ્સ અને છાપાં તથા મેગેઝિનોમાં સ્વાસ્થ્યપ્રદ માહિતીનો ભંડાર આ દિવસોમાં ખડકાય છે. 

વિવિધ પ્રકારની કસરતો, મોર્નિગ વૉક, ઇવનિંગ વૉક તથા કેવી રીતે શિયાળામાં હેલ્ધી બનવું તેના વિશેની માહિતીનો ખડકલો થઈ રહ્યો છે. 

ખાવામાં કચરિયાથી લઈને ચીકી, ઊંધિયું જેવી વાનગીઓ દર વર્ષની જેમ અત્યારે ફરી ચમકવા લાગી છે.. 

પરંતુ આપણે આજે વાત કરવાની છે ગામડાંમાં આવતા શિયાળાની. મજૂરી કે ખેતીમાં કામ કરતા લોકો માટે શિયાળો એટલે શું? 
Courtesy: eyeem.com

ગામડાંના લોકો માટે શિયાળો મોટેભાગે મહેનતની ઋતુ રહી છે. હાલના સમયમાં ગુજરાતનાં ગામડાંની સ્થિતિ દેશની સાપેક્ષે ઠીક ઠીક બદલી રહી છે. ખેતી સાથે અન્ય ઉદ્યોગો અને ધંધાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. 

નવી પેઢી ખેતીથી ધીમેધીમે અળગી થઈ રહી છે. તો પણ ગામડાં હજી ખેતી પર ટકી રહ્યાં છે. ત્યારે દલપતરામની કવિતાની જેમ શિયાળો ગામડાંના લોકો માટે મહેનત લઈને આવે છે. 

વરસાદ સારો હોય એવા સંજોગોમાં ખેડૂતો રવિ પાકની વાવણીમાં શિયાળાની શરૂઆતમાં જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. ખરીફ પાકની લણણી અને તેનું કામ પણ શિયાળાના શરૂઆતના દિવસોમાં થાય છે.

ભારતમાં ચોમાસમાં લેવાતા પાકને ખરીફ પાક અને શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. 

એટલે ખાવાના શોખીનો, સ્વાસ્થ્યની સંભાળ, હેલ્થ, વસાણા, કચરિયાં જેવી બાબતો અમારે ત્યાં જોવા મળતી નથી. હાલ શિયાળામાં ઠંડીની સાથે સાથે મહેનત કરી પેટ્યું રળી લેવા માટેની દોડધામ હોય છે. 

ખેતી પર નભતાં મજૂરો માટે આ છેલ્લી સિઝન હોય છે જેમાં ચોમાસા સુધીની કમાણી કરી લેવાની હોય છે. ઉનાળામાં બહુ ઓછા વિસ્તારોમાં ખેતીમાં પાક લઈ શકાતા હોય છે. જેથી મજૂરી માટેના આ અંતિમ દિવસો હોય છે. 

દલપતરામે જેમ કહ્યું કે ફાટે ગરીબ તણા પગ ગાલ. જે ગામડાં અને શહેરના બંને લોકોને લાગુ પડે છે. પરંતુ ગામડાંમાંથી આવતો હોઉં ત્યાંની પરિસ્થિતિમે જોઈ છે અને આ પંક્તિને અનુભવી પણ છે. 

આજથી દસેક વર્ષ પહેલાં ગામડાંમાં શિયાળામાં લગાવાતી મોચ્યૂરાઇઝ ક્રિમ્સનો જમાનો આવ્યો ન હતો. શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ ચામડી સુકાતી જાય અને હોઠ, ગાલ, હાથ તથા પગ ફાટવા લાગે. 

જ્યારે પગ કે હાથમાં પડેલા ચીરામાંથી લોહી નીકળવાની શરૂઆત થાય ત્યારે મેં અનેક લોકોને ઘી લગાવતાં જોયાં છે. ઘી ચામડીને થોડા સમય માટે કૂણી કરે છે. 

મોટેભાગે નાનાં છોકરાંના નાક અને ગાલ તરડી જાય છે. હાલમાં જુદી જુદી ક્રિમ અને નવા નવા લોશનને કારણે થોડી બદલી હશે. પરંતુ સામાન્ય ગણાતા અને સ્માર્ટ દુનિયામાં હજી પણ ન પ્રવેશી શકેલા લોકો માટે દલપતરામની પંક્તિઓ યથાર્થ છે. 

શિયાળામાં મેં આરોગ્યને લઈને ભાગ્યે જ ગામડાંમાં લોકોને વિચારતા જોયાં હશે. હા એટલું ખરું કે શિયાળામાં ભૂખ બહુ લાગે એવી વાતો નાનપણમાં સાંભળી. ગામડાંમાં રહેતા લોકો માટે હાલનો સમય તાજા શાકભાજીનો હોય છે. રીંગણ, ટામેટાં, મૂળા, ગાજર, વટાણા જેવાં તાજાં શાકભાજી મળી રહે. 

બાકી આરોગ્યપ્રદ શિયાળો તો મેં પણ શહેરમાં જ આવીને જોયો. તમને પણ શિયાળાની સ્વાસ્થ્યપ્રદ શુભકામનાઓ.

Sunday, 15 October 2017

જાત્રા : પાકટતાની વય વટાવીને પ્રૌઢાવસ્થાએ પહોંચતા વડીલોનો પ્રવાસ



સૌજન્ય : panoramio.com


હાલ સ્કૂલો-કોલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. પરિવાર કે મિત્રો સાથે આ વખતે વેકેશનમાં ક્યાં જવું તેના આયોજનમાં લોકો લાગી ગયા હશે. કેટલાક લોકોએ તો આ આયોજન અગાઉ જ કરી લીધું હશે.


પ્રવાસ, પર્યટન, સહેલ, સહેલગાહ, મુસાફરી, સફર, વિહાર, યાત્રા, જાત્રા, ખેપ, મજલ, અટણ, ભ્રમણ અને દેશાટન જેવા શબ્દો ગુજરાતીમાં આપણી પાસે છે. આ દરેક શબ્દનો સાદો અર્થ ફરવું એવો કરી શકાય. (ફરવું પણ આ જ હરોળનો શબ્દ છે.) આ ઉપરાંત કામ વગરનું ફરવું તે માટે આપણી પાસે રખડપાટ જેવો શબ્દ છે. ગામમાં ઘણા છોકરાઓ પર લાગેલા રખડુંના લેબલ પાછળ આ શબ્દ છે.

પ્રવાસ અને જાત્રા આ બે શબ્દોનો પરિચય મને નાનપણથી થયો. કયો શબ્દ પહેલાં જાણવા મળ્યો તે શોધવું અઘરું છે પરંતુ પ્રવાસ શબ્દ પ્રાથમિક શાળામાં જાણવા મળ્યો. શાળા તરફથી બાજુંના ગામના મહાદેવના મંદિર લઈ જવામાં આવે તો પણ અમે તેને પ્રવાસ કહેતા અને ઘરે આવીને અમે આ પ્રવાસની વાતો કરતા.  

અત્યારના જેવી આયોજનપૂર્વક દેશ-વિદેશમાં થતી ટૂરનો ખ્યાલ તો કોલેજ સુધી ન હતો. ટુર, ટુરિઝમ, ટ્રિપ, ટ્રાવેલ, પિકનિક, જર્ની, સાઇટિંગ, વિઝિટીંગ, એક્પ્લોરિંગ જેવા અંગ્રેજી શબ્દો અને તે સાથે થતી ભવ્ય ટુર તો હજી પણ મારા ભાગે આવી નથી.

હાઇસ્કૂલમાંથી 10 કિલોમીટર દૂર આવેલી નર્સરી અને ડેમની મુલાકાત પણ અમારા માટે પ્રવાસ હતો. જો કે આજે વાત જાત્રાની કરવાની છે.
સૌજન્ય : panoramio.com

જાત્રા એટલે ધાર્મિક સ્થળોએ કરવામાં આવતો પ્રવાસ. ગામડામાં દિવાળી અને હોળીના આસપાસના સમયને જાત્રા માટે અનુકૂળ ગણવામાં આવે છે.

જાત્રામાં મોટેભાગે વડીલોએ જવાનું હોય છે. યુવાનોનો તેમાં ભાગ્યે જ સમાવેશ થાય છે. પહેલાંના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ વડીલો જાત્રા કરવા જાય છે. આ પાછળ એવો ઉદ્દેશ હશે કે જિંદગી આખી તનતોડ મહેનત કરી હોય, ગામની બહાર ભાગ્યે જ પગ મૂક્યો હોય, છોકરાંઓને મોટાં કરવામાં અને તેમને પરણાવવામાં જીવન પસાર કર્યું હોય, ત્યારબાદ પ્રૌઢાવસ્થામાં નિવૃતીના ગાળે એક વખતે તો જાત્રાએ જવું જોઈએ. એટલે કે જિંદગી આખી મહેનત કર્યા બાદ એક વખત શાંતિથી દેશ ફરવો જોઈએ.

આ જાત્રા નાની અને મોટી એમ બે પ્રકારની હોય છે. મોટી જાત્રા એટલે અમારા માટે ચારધામની જાત્રા. આ ચાર ધામ એટલે જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા અને બદરી-કેદાર. નાની જાત્રા એટલે અંબાજી, બહુચરાજી, ચોટીલા કે પાવાગઢ જેવા ધાર્મિક સ્થાળોની મુલાકાત. (નાની મોટી જાત્રા અમારા પ્રદેશમાં થતી ગણના પ્રમાણે વર્ણવી છે. અન્ય પ્રદેશમાં તેના અર્થ જુદા સ્થળોને સાંકળીને થતા હોઈ શકે.)

અમારે ત્યાં ચારધામની યાત્રા બહુ ઓછા લોકોએ કરી હશે. મોટાભાગના લોકો હરિદ્વાર, મથુરા, કાશી, પ્રયાગ, અયોધ્યા પશુપતિનાથ(કાઠમંડુ) જેવા સ્થળો એટલે કે ઉત્તર ભારતમાં જતા. જેમાં રામેશ્વર બાકી રહી જતું.
સૌજન્ય : panoramio.com

દ્વારકા અમારે માત્રા જાત્રા માટેનું સ્થળ નથી કેમ કે તે ખૂબ જ નજીક છે. પરંતુ જાત્રાએથી પરત આવ્યા બાદ ગોમતીમાં એક વખત સ્નાન કરવા જવાની પરંપરા છે. ગોમતી નદી છે અને તે દ્વારકામાં દરિયાને મળે છે. આ નદીના કાંઠે ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. જો કે એવા પણ ઘણા વડીલો હતા જેમણે પોતાના જીવનકાળ દરમિયાન દ્વારકા પણ જોયું ન હતું.  

જાત્રાનો માહોલ કોઈ પ્રસંગ જેવો બની જાય છે. જાત્રાએ જનાર માટે તો હશે જ પરંતુ અમારા માટે પણ મજાનો માહોલ હતો. ગામમાંથી જે વડીલો જાત્રાએ જવાના હોય તેમના ઘરે જાત્રાના જવાના થોડા દિવસો પહેલાં જ લોકો આવવાના શરૂ થઈ જાય.

જાત્રા જનારના ઘરે ગામમાંથી લોકો પળા આપવા આવે છે. પળા એટલે એક પ્રકારનું પડીકું જેની અંદર સાકર હોય છે. આ પળા આપવાની શરૂઆત ક્યારથી થઈ અને લોકો શા માટે પળા આપવા આવે છે તે અંગે નક્કર કશું જાણવા મળતું નથી. પરંતુ બહાર જનારા લોકોનું મોં મીઠું કરાવવામાં આવે છે એવો ઉદ્દેશ આ પળા પાછળ રહેલો હોવો જોઈએ.

મોટે ભાગે અમારે ત્યાંથી જાત્રા માટે બસ જતી હોય છે. જેમાં મોટે ભાગે 60 કે 65 લોકો જઈ શકે. એક જ ગામમાંથી આટલા લોકો જઈ ના શકે એટલે એક બસમાં વિવિધ ગામના લોકો સાથે જાય છે. પરત ફરે ત્યાં સુધીમાં તેમાંના ઘણાં લોકો વચ્ચે પરિવાર જેવા સંબંધો બંધાઈ જતા મેં જોયા છે.  
સૌજન્ય : panoramio.com
જાત્રા જવાના દિવસે ગ્રામજનો પણ જાત્રા જનારા વડીલોને વળાવવા માટે એકઠાં થાય છે. રંગેચંગે તેમને વળાવવામાં આવે છે. તેમના ગયા બાદ પાછળથી ઘરનો માહોલ પણ ધાર્મિક બની જાય છે.
જે ઘરેથી વડીલો જાત્રાએ ગયા હોય ત્યાં કિર્તનનો માહોલ હોય છે. જાત્રાથી પરત ના ફરે ત્યાં સુધી તેમનાં ઘરે લોકો સાંજે એકઠાં થાય અને કિર્તન કરે. માન્યતા એવી છે કે જાત્રાએ ન જનાર લોકો પણ આવી રીતે કિર્તન કરીને પુણ્ય મેળવી શકે છે.

ઘર કેવું ખમે એવું છે તે પ્રમાણે પાછળથી કિર્તનનું આયોજન કરાય છે. ખમે એવું એટલે કે ઘરની-પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે. જો પૈસાદાર હોય તો કિર્તન મંડળી બોલાવીને પણ કિર્તન કરવામાં આવે છે.

ગામનાં દરેક લોકો આવી જાત્રાએ જઈ શકતા ન હતા. કેમ કે જાત્રા ખર્ચાળ હોય છે. બે વ્યક્તિની જાત્રામાં આશરે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ કેટલાંક વર્ષો પહેલાં થઈ જતો. ત્યારબાદ જાત્રાએથી પરત આવ્યા બાદ પણ ઘણો ખર્ચ થતો હોય છે.

જાત્રાથી વડીલો જે દિવસે પરત આવવાના હોય તે દિવસે પરિવારજનો માટે ઉત્સવ જેવો માહોલ હોય છે. જાત્રાથી પરત આવનાર લોકોના સામૈંયા કરવામાં આવે છે. ગ્રામજનો ગામના પાદરથી કિર્તન ગાતાં ગાતાં ઘર સુધી લઈ જાય છે. અબીલ ગુલાલ પણ ઉડાડવામાં આવે, સાથે ઢોલ કે તબલાં હોય છે. વાદ્યો સાથે જાણે ઉત્સવ જેવા માહોલ સર્જાય છે. ગામમાં નાનો પ્રસંગ હોય તેવું લાગે.

ત્યારબાદના શરૂ થાય છે મળવા આવવાના દિવસો. ગામના લોકો અને સંબંધીઓ જાત્રા કરી આવેલા જાત્રાળુઓને મળવા આવે છે. મળવા આવનારને કંઠીથી લઈને ગંગાજળ ભરેલી પાણીની લોટીઓ આપવામાં આવે છે. ગંગાજળ ભરેલી લોટીઓ અંગત સંબંધીઓને જ મળે છે. કારણ કે મોટેભાગે ગંગાજળ ભરેલી લોટીઓ ઓછી સંખ્યામાં લાવવામાં આવી હોય છે. આ ત્રાંબાની લોટીઓ પ્રમાણમાં મોંઘી હોય છે.
સૌજન્ય : panoramio.com
મળવા આવવાની પ્રથા પાછળનું એક કારણ એવું પણ હોઈ શકે કે દરેક લોકો પહેલાંના સમયમાં જાત્રા પર જઈ શકતા ન હતાં. જેથી જાત્રા પર ગયેલા લોકો પાસેથી તે પ્રદેશ, લોકો, ધાર્મિક સ્થળો, રિતરિવાજો, ખાણીપીણી વગેરે અંગેની જાણકારી મેળવી શકાય. જો કે તેમાં મુખ્ય હોય છે ધાર્મિક સ્થળોની વાતો. દરેક ધાર્મિક સ્થળ વિશે વિસ્તૃત વાતો થાય છે.  

જાત્રા બાદ મનોરથ અને લોટી ઉત્સવ જેવા કાર્યક્રમ પણ થાય છે. જે આર્થિક સ્થિતિ પર આધારિત છે. આવા કાર્યક્રમ અતિ ખર્ચાળ હોય છે. અહીં તેનો લંબાણપૂર્વકનો ઉલ્લેખ ટાળું છું.
જો કે હવે આ જાત્રાનું મહત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ઝડપી પરિવહન, વાહન વ્યવહારની ઉત્તમ સગવડો, ટેલિવિઝન દ્વારા દરેક સ્થળોની જાણકારી, મોબાઇલ અને ઇન્ટરનેટ ક્રાંતિ આ માટે જવાબદાર છે.
નાનપણમાં જોયેલું જાત્રાનું મહત્વ અને ત્યારે થતો આનંદ તો હવે નથી રહ્યો. પરંતુ જાત્રા અંગેના સ્મરણો પણ મારા માટે રોમાંચક બની રહે છે.
સૌજન્ય : panoramio.com

જાત્રા સાથે જોડાયેલા બીજા બે શબ્દો પણ છે એક છે જાત્રાવેરો અને બીજો છે જાત્રારેખા. જાત્રાવેરો એટલે કે જાત્રાએ જનારા પાસેથી ધાર્મિક સ્થળો પર ઉઘરાવવામાં આવતો કર. હાલ આવો કોઈ કર નથી પરંતુ અનેક ધાર્મિક સ્થળોએ પરોક્ષ રીતે ફરજીયાત રૂપિયા ઉઘરાવાય છે.

બીજો શબ્દ છે જાત્રારેખા એટલે કે હાથમાં રહેલી જાત્રા જવાની રેખા. વર્ષો પહેલાં જાત્રા એ સ્વપ્નવત હશે. એટલે લોકો જ્યોતિષ પાસે જીવનમાં જાત્રાનો જોગ છે કે નહીં તે બતાવવા જતા હશે. જેના પરથી આ શબ્દ આવ્યો હોવો જોઈએ તેવું મારું માનવું છે.


જાત્રાની મજા હવે તો પહેલાં જેવી ક્યારેય આવવાની નથી. શહેર અને તેમાં પણ ખાસ કરીને મેટ્રો સિટીમાં આવ્યા બાદ સ્ટ્રેસ ફૂલ જીવનમાં જાત્રાનું સ્થાન વિક એન્ડે લઈ લીધું છે. બદલાતા સમય સાથે ઘણું બધું વહી જતું હોય છે અને ઘણું નવું ઉમેરાતું હોય છે. આધુનિક થવાની ઉતાવળમાં ગામડાંઓ કેટલુંક મેળવવાની સાથે ઘણું ગુમાવી રહ્યાં છે.  

Friday, 21 October 2016

લાઈટ જાય તો શું થાય? અંધકાર કે ઉજાસ?

લાઈટ થોડા મોટા વિસ્તારમાં ગઈ હશે કારણ કે મને પૂર્વ દિશામાં થોડા તારાઓએ દર્શન આપ્યાં. સામેના મકાનોનો રંગ અંધારામાં ઝાંખો પડી ગયો હતો. બહાર ઊભેલા માણસો ઓળા જેવા દેખાતા હતા. સોસાયટી જાણે અંધકાર સાથે ભળી ગઈ હતી.

file photo
આમ તો લાઈટ જાય તો શું થાય એ વાતનો પ્રશ્ન ઉઠવો કે ઉઠાવવો બહુ સ્વાભાવિક ના લાગે. કારણે કે ગામડાંઓમાં છાશવારે લાઈટ જતી હોય છે અને મેટ્રો શહેરમાં વીજળી ગુલ થવાના પ્રશ્નો ઓછા છે. આપણે જરા મેટ્રો શહેરને ધ્યાનમાં રાખીને વાત કરીએ. હવે જરા આગળ વધીએ કોઈ તમને પૂછે કે રાત્રે લાઈટ જાય તો શું થાય? તો પ્રથમ દૃષ્ટિએ તમારો જવાબ લગભગ આવો હોય કે ઘરમાં બુમાશોર થઈ જાય. મોટાભાગના ઘરોમાં વૈકલ્પિક વ્યવસ્થાના પ્રશ્નો ઉઠે. ઘરના લોકો પક્ષ વિપક્ષની ભૂમિકામાં આવી આક્ષેપ પ્રતિ આક્ષેપોનો મારો ચલાવે. જે ઘરમાં નાના છોકરાં હોય ત્યાં થોડો શોરબકોર વધી જાય. સોસાયટીમાં ઘણા લોકો તો બહાર નિકળીને મર્યાદા પુરુષોત્તમમાંથી થોડી છુટ લઈને  વીજળી વિભાગને જરા અમથી ચોપડાવે પણ ખરા. હવે જરા વાતને અલગ રીતે જોઈએ.

આવી સામાન્ય ગણાતી પણ જરા અસામાન્ય વાત એટલા માટે યાદ આવી કે આજે સાંજે અમારે ત્યાં સોસાયટીમાં લાઈટ જતી રહી. પછી શું.. પણ ઉપર લખ્યું એવું ના થયું. કારણે કે સોસાયટી જરા શહેરના શોરગુલથી દુર છે. આજુબાજુ ખેતરો છે. પરંતુ અમદાવાદ જેવા શહેરમાં રહેતા હોઈએ અને લાઈટ જાય એજ ઈગો હટ કરી નાખે એવી વાત છે. હવે મૂળ વાત પર આવીએ, લાઈટ ગયા બાદ જરા ઘરની બહાર નિકળીને જોયું, સાંભળ્યું અને અનુભવવાનો પ્રયત્ન કર્યો. સામે અંધારું હતું, આછા આછા વૃક્ષો દેખાતા હતા, તમરાંનો અવાજ આટલો સરસ તીણો અને કર્ણપ્રિય હોય એવું અનેક વર્ષો બાદ અનુભવ્યું. દિવસે લીલા દેખાતા વૃક્ષો જાણે અંધકાર ઓઢીને બેઠાં હતા. ધીમે ધીમે આવતો પવન પાંદડાઓમાંથી પસાર થતાની સાથે હળવો અમથો સૂર જાણે વાતાવરણમાં પૂરાવતો હતો. બાજુના ઘરમાં સતત વાગતું હોમ થિયેટર અચાનક જ મૂંગું થઈ ગયું. જાણે પહેલીવાર બાજુના ઘરનો ઘોંઘાટ બંધ થયો. મારા ઘરનું ટીવી પણ બંધ થયું. રસોડામાંથી લસણ ખાંડવાનો અવાજ આવતો હતો. સોસાયટી જાણે જીવંત બની રહી હતી. માત્ર વીજળી જ નહીં જાણે કૃત્રિમતા પણ સાથે જતી રહી હતી.

હવે વારો હતો આકાશ જોવાનો. લાઈટ થોડા મોટા વિસ્તારમાં ગઈ હશે કારણ કે મને પૂર્વ દિશામાં થોડા તારાઓએ દર્શન આપ્યાં. સામેના મકાનોનો રંગ અંધારામાં ઝાંખો પડી ગયો હતો. બહાર ઊભેલા માણસો ઓળા જેવા દેખાતા હતા. સોસાયટી જાણે અંધકાર સાથે ભળી ગઈ હતી. કુદરત રાતને પણ સુંદર જ બનાવે છે આપણે જરા નાહક ના ડરી જઈએ છીએ. મને જરા અંધકાર ગમે ખરો અને વધારે પ્રકાશ પસંદ નથી. ક્યારેક સ્ટ્રીટ લાઈટ વિનાના ટ્રાફિક વગરના રસ્તે બાઈક લઈને આવતો હોવ તો પણ હું બાઈકની હેડ લાઈટ બંધ કરી દઉં છું. ઘરમાં પણ કારણ વગરનો વીજળીનો ગોળો મને ચાલુ રાખવો ગમતો નથી. આ બાબતો વ્યક્તિગત છે, જેને સર્વસામાન્ય ન ગણી શકાય. પરંતુ એ વાત તો સત્ય છે કે શહેરમાં રહીને આપણે અલગ દૃષ્ટિથી જોવાનું ભુલી ગયાં છીએ. આપણે હંમેશા દરેક વસ્તુને એક જ નજરે જોઈએ છીએ. સવારથી ઉઠીને રાત્રે પથારીમાં સુવા જઈ ત્યાં સુધી આપણે અનેક ક્રિયાઓ કરીએ છીએ. પરંતુ તે એક ઘરેડ થઈ ગઈ છે. ઘરેથી નિકળતા બની શકે કે તમે દરરોજ કોઈ સરસ ગાર્ડન પાસેથી પસાર થતા હશો. ક્યાંક તમે વૃક્ષોથી આચ્છાદિત રસ્તા વચ્ચેથી પસાર થતા હશો, રાત્રે ઘરે પરત ફરતી વખતે શક્ય છે કે તમે અંધારી ગલીમાંથી પસાર થતા હોવ, પરંતુ આમા કંઈ નવાઈ લાગવા જેવું નથી. 

File Photo
મોર્નિંગ વોકમાં પણ આપણે ઈયરપ્લગ કાનમાં ખોસીને ચાલીએ છીએ. સવારના વાતાવરણમાં ક્યારેય મહાલવાનો પ્રયત્ન કર્યો છે ખરો? સાંજે ચાલવા નિકળો ત્યારે સાથે કોઈ હોય એના સાથે વાત કરવાને બદલે મુંગા રહી ચારેતરફથી આવતા અવાજને સાંભળવાનો પ્રસંગ બનવા દીધો છે ખરો? અવાજના પણ લેયર્સ હોય છે. એકસામટા આવતા અવાજને જો ધ્યાનથી સાંભળો તો તેમાંથી દરેકને અલગ તારવી શકાય છે. પરંતુ  મોટાભાગના આપણે ગર્વિત મેટ્રોવાસી FMના RJની સાથે મોર્નિંગ વોક કરવા ટેવાયેલા છીએ. યા તો દરરોજ એક એકના એક ગીત સાંભળતા સાંભળતા પેટ પર જામેલી ચરબીના થર ઉતારવા મથીએ છીએ. ટ્રાફિકના ઘોંઘાટના પણ અનેક સ્વર હોય છે. ધ્યાનથી સાંભળજો ક્યારેક સંભળાશે. વાત વીજળી જાય કે ન જાય એની નથી પરંતુ સ્માર્ટફોન, ટીવી, કમ્પ્યૂટર, વ્હિકલ આ બધા વચ્ચે જિંદગી એક ચીલો  થઈ ગઈ છે. ધીમે ધીમે આપણે સોશિયલ મીડિયા પર પ્રકૃતિના મેસેજ વાંચી આનંદ લઈ રહ્યાં છીએ. નેચરના સારા લેન્ડસ્કેપ કે લીફના ક્લોઝઅપને આપણે શેર કરતા થયાં છીએ. પરંતુ કુદરત આપણી સાથે જે શેર કરે છે તેને લાઈક કરતા ભુલી ગયાં છીએ. આ યાર લાઈટ છે જ એવી એ જાયને એટલે બબાલ થાય જ. જો મે કરીને તમારી સાથે બબાલ. કંઈ નહીં સારું હવે લાઈટ જાય ત્યારે જરા ફ્લેટ કે ઘરની બારી ઉઘાડજો અને જરા ડોકિયું કરી લેજો. દરરજો કરતા બહુ અલગ દેખાશે. પણ જોવાની કોશિશ કરશો તો.

Friday, 1 January 2016

નવું વર્ષઃ કેલેન્ડર અને તારીખ સિવાય કશું બદલાતું નથી

કેટલીક ભ્રમણાઓ અને તારીખ બદલવાની સાથે કંઈક બદલાવાની ખાલી ધારણાઓ લઈને આવે છે નવું વર્ષ. 



2015ને સમગ્ર વિશ્વએ અલવિદા કહી દીધું, 2016ને વેલકમ પણ કરી દીધું. હવે શું ? વર્ષ બદલાવાથી શું બદલાવાનું છે ? આપણી રોજીંદી જિંદગીમાં શું પરિવર્તન આવવાનું છે ?



દર વર્ષે ડિસેમ્બર મહિનો આવતાની સાથે જ ત્રણ પ્રશ્નો લોકો બહુ પૂછે છે. કેવું રહ્યું તમારું આ વર્ષ ? શું લાગે છે કેવું રહેશે આવતું વર્ષ ? નવા વર્ષમાં શું સંકલ્પ કર્યો અથવા શું કરવાના ?  શું કહેશો હવે તમે ? બસ તમારી જેમ મોટાભાગના લોકો પાસે આ પ્રશ્નોના જવાબ હોતા નથી. આપવા જરૂરી પણ નથી. પ્રશ્નો જ વાહિયાત છે. તો જવાબ આપવાનો પ્રયત્ન પણ કરશો તો તે પણ અર્થહિન જ હશે. 


વર્ષ બદલાવાથી ખરેખર આપણા જેવા સામાન્ય માણસોના જીવનમાં શું બદલાય છે ? વિચારો ખરેખર કશું બદલાય છે ખરું ?  કદાચ કેલેન્ડર અને ચોક્કસ રીતે તારીખ માત્ર બદલાય છે. મોટાભાગના લોકોના ઘરમાં કેલેન્ડર તો વિક્રમ સંવત અનુસાર આવી ગયું હોય છે. એટલે બહુ ઓછા ઘરોમાં આપણે ત્યાં કેલેન્ડર પણ બદલાતું હશે. હા માલ્યાનું હોય તો અલગ વાત છે. બાકી કશું બદલાતું નથી. માત્ર બદલાવના આભાસ કે ભ્રમમાં આપણે હોઈએ છીએ. નોકરી, પગાર, જીવનશૈલી, આહાર, વ્યવહાર, સંબંધોથી લઈને બધું જ વર્ષોથી ચાલતું આવે એ જ છે અને એ જ રહેવાનું છે. 

જાન્યુઆરીથી શરૂ થતુ નવું વર્ષ આપણા અર્થતંત્રમાં પણ બદલાવ નથી લાવતું. કેમ કે નાણાંકિય વર્ષ તો અલગ છે. તો નોકરી કરતા લોકોને પગાર વધારો પણ જાન્યુઆરીની પહેલી તારીખે નથી મળતો. એના માટે પણ માર્ચના અંત સુધી રાહ જોવી પડે છે. આપણા ત્યાં તો 31st કે 1st જાન્યુ.ની રજા પણ નથી. 31 ડિસમ્બરના જેમ તમે નોકરી પર જાવ છો તેમ જ 1 જાન્યુ.ના જવાનું. પાર્ટીમાં ગયા હોવ અને હેંગઓવર થઈ જાય તો અલગ છે. હા, સરકારી નોકરીયાતો માટે નવા વર્ષ કરતા પુરા થતા વર્ષનો ડિસેમ્બર મહત્વનો હોય છે, વણવપરાયેલી રજાઓ ડિસેમ્બરમાં વાપરી શકાય. પણ નવું વર્ષ તો તેમના માટે પણ એ જ છે. 


યંગસ્ટર્સમાં પાર્ટીનો ક્રેઝ, વાર તહેવારે પીવાના શોખીનો માટે મદીરા, પાર્ટી પ્લોટ્સ, કલ્બ અને હોટેલ્સ માટે 

કમાણી, સોશિયલ સાઈટ્સ પર રદ્દી થઈ ગયેલી શુભકામનાઓ, વોટ્સઅપ અને ફેસબુકના યુગમાં વાંચ્યા વગરના ફોરવર્ડેડ મેસેજીસ, કેટલીક ભ્રમણાઓ અને તારીખ બદલવાની સાથે કંઈક બદલાવાની ખાલી ધારણાઓ લઈને આવે છે નવું વર્ષ. 

માત્ર અને માત્ર કંઈ પણ વિચાર્યા વિના હાહા અને હોહામાં દર વખતે ભાગ લેનારા હે પામર મનુષ્ય, જરા વિચાર, માત્ર બદલાશે બદલાશે અને નવા નવાના રટણમાં રાચનારા, કુદરતે આપેલા મગજને જરા પણ કષ્ટ આપ્યા વિના મગજના બંધ બારણે અષાઢી મેઘ જોનારા હે માનવ 60 વર્ષોમાં દેશમાં હજી કંઈ નથી બદલાયું તો તારીખ બદલાવાથી તારા કે મારા જીવનમાં શું બદલાવાનું છે ? 

કંઈ ભલે ના બદલાય તો પણ તમને રદ્દી થઈ ગયેલી શુભકામના, હેપ્પી ન્યૂયર


15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...