Showing posts with label violation. Show all posts
Showing posts with label violation. Show all posts

Tuesday, 14 October 2014

કાશ્મિરના લોકોમાં આર્મી અને પેરામિલિટરી ફોર્સ સામે કેમ રોષ ફાટી નિકળ્યો.

કેટલાક એવા વિવાદાસ્પદ બનાવો અને નિર્દોષ લોકોના મોત, પાકિસ્તાન, સ્વતંત્રતા માગતા જેહાદી સંગઠનો આ બધાને કારણે કાશ્મિરમાં ભારત વિરોધી વલણ ફેલાયું.
Photo courtesy: www.rediff.com

કાશ્મિરમાં આર્મી તથા પેરામિલિટરી ફોર્સ સામે લોકોના વિરોધ માટે દેખીતી રીતે બે કારણો જવાબદાર છે તેમાં પહેલું કારણ સતત અલગતાવાદી સંગઠનો દ્વારા યુવાનોની ભારત વિરૂદ્ધ કરવામાં આવી રહેલી ઉશ્કેરણી અને બીજું આર્મી તથા પેરામિલિટરી ફોર્સ દ્વારા AFSPA હેઠળ કરવામાં આવેલી વિવાદાસ્પદ કામગીરી છે. 1990 બાદ કાશ્મિરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેમાં કથિત રીતે લશ્કરી કાર્યવાહીમાં નિર્દોષ લોકોનાં મોત થયાં. રેપ અને લોકો ગુમ થવાના બનાવો તથા ક્રકેડાઉન અને કર્ફ્યુને કારણે કાશ્મિરમાં સતત આર્મી સામે રોષ વધતો ગયો. ઓછામાં પુરું આવી ઘટનાઓ અલગતાવાદી સંગઠનો માટે ફાયદારૂપ સાબિત થઈ અને ભારત તથા ખાસ કરીને આર્મી સામે લોકોને ઉશ્કેરવા માટે આવા બનાવોનો ઉપયોગ અલગતાવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો. બીજી તરફ AFSPA લાગુ હોવાથી આર્મીના જવાનો સામે તપાસ પણ થઈ શકે નહીં. આવી બધી બાબતોને કારણે લોકો સતત આર્મી વિરોધી અને અંતે ભારત વિરોધી વલણમાં ઘસડાતા ગયા.
આવા જ કેટલાક બનાવો જેના કારણે AFSPA અળખાણો બન્યો અને આર્મી સામે જમ્મુ-કાશ્મિરના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો.
1.   
  •   ગાવાકાદલ હત્યાકાંડ, 20 જાન્યુઆરી 1990ના રોજ પ્રદર્શન કરી રહેલા ટોળાએ સીઆરપીએફના જવાનો સામે પથ્થરમારો કર્યો, જવાબમાં સીઆરપીએફના જવાનોએ ગોળીબાર કરતાં 35 લોકોનાં મોત થયાં, પાછળથી આ આંકડો વધીને 50 થયો. જો કે બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે કથિત રીતે આ આંકડો 280નો હતો.
  •   ઝકુરા, ટેંગપૂરા હત્યાકાંડ, કાશ્મિર વેલીમાં 1 માર્ચ, 1990ના રોજ યુ.એન. રિઝોલ્યૂશન અંતર્ગત કાશ્મિરના ભવિષ્ય અંગે સર્વમત્ત લેવાની માગણી સાથે પ્રદર્શન કરી રહેલા અને શ્રીનગર તરફ  માર્ચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર આર્મી દ્વારા થયેલા ગોળીબારમાં 47 લોકોના મોત થયાં.
  •  કુનાન પોશપોરાનો બનાવ, 23 ફેબ્રુઆરી 1923ના રોજ જમ્મુ-કાશ્મિરના કુપવારા જિલ્લાના
    www.swadeshnews.com
    કુનાન પોશપોરા ગામમાં ભારતીય આર્મી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કથિત રીતે ભારતીય આર્મી દ્વારા તે રાત્રે 53 મહિલાઓ પર ગેંગરેપ કરવાના આરોપ લાગ્યા. જો કે કેટલાક માનવ અધિકાર સંગઠનો દ્વારા આ સંખ્યા 100 જેટલી હોવાનું કહેવામાં આવે છે. જો કે આ મામલે થયેલી તપાસમાં આ આરોપો પાયાવિહોણા હોવાનું જણાવામાં આવ્યું.
  •  લાલ ચોકનો બનાવ, આશરે 11:30 pm, 9 એપ્રિલ 1993ના રોજ BSF દ્વારા શ્રીનગરના લાલ ચોકમાં સનાતન ધર્મ સભા નામનો બેઝ ખાલી કરી દેવામાં આવ્યો. 10 એપ્રિલના રોજ સનાતન ધર્મ સભા કે બેઝ કેમ્પ હતો તેમાં આગ લાગી, આ આગ આજુબાજુના બિલ્ડિંગ્સમાં પણ ફેલાવાની શરૂઆત થઈ. BSFના જવાનો ત્યાં આવ્યાં અને કથિત રીતે પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, જેથી આગમાં ફસાયેલા લોકો બહાર ના નિકળી શકે, ઘણાં લોકોએ પાછળ આવેલી જેલમ નદીમાંથી થઈને ભાગવાનો પ્રયત્ન કર્યો, કથિત રીતે BSFના 20 થી 30 જવાનોએ શિકારામાં બેસીને ભાગવાનો પ્રયત્ન કરનાર લોકો પર ગોળીબાર કર્યો. આ બનાવમાં 59 ઘર, 190 નાની દુકાનો, 59 સ્ટોર્સ, 2 ઓફિસ બિલ્ડિંગ્સ, 5 કોમર્શિયલ બિલ્ડિગ્સ અને 2 સ્કુલો બળીને ખાખ થઈ ગઈ. જ્યારે અંદાજે 125 જેટલા લોકોનાં મોત થયાં.
  •  બીજબેહરા હત્યાકાંડ, 1993, ઓક્ટોબરમાં આતંકવાદીઓ બીજબેહરમાં આવેલી હજરતબાલ મસ્જિદમાં છુપાયેલા હોવાની માહિતી મળતાં આર્મીએ મસ્જિદને ઘેરી લીધી, મસ્જિદના ઘેરાવાના આઠમા દિવસે જામિયા મસ્જિદમાં 10000 જેટલા લોકો ભેગા થયાં અને શુક્રવારની નમાજ બાદ તેઓ શેરીઓમાં આઝાદીના સ્લોગન સાથે તથા હજરતબાલ મસ્જિદમાંથી આર્મીને હટી જવાની માગ સાથે પ્રદર્શન શરૂ કર્યા. જેમાં ટોળાને કાબુમાં લેવા માટે કરવામાં આવેલા ફાયરિંગમાં 51 લોકોના મોત થયાં.
  • સોપોર હત્યાકાંડ, સોપોર બારામુલ્લા જિલ્લાનું મોટું ગામ છે અને વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વનું છે. 6 જાન્યુઆરી, 1993ના રોજ JKLFના આતંકવાદીઓએ સોપોર નજીક આવેલા બાબા યુસુફ લેન પર ફરજ બજાવતા BSFના જવાનો પર હુમલો કર્યો જેમાં 1 જવાન શહિદ થયો. ત્યારબાદ કથિત રીતે આર્મીએ ત્યાંના લોકો પર ફાયરીંગ કર્યું અને ઘરોને સળગાવી નાખ્યાં. જેમાં કથિત રીતે 55 લોકોના મોત થયાં. ભારતીય સરકારના અધિકારીક રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 250 દુકાનો અને 50 ઘર સળગાવાયાં હતાં, જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ આંકડો 450 જેટલો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવો જેવા કે 2006માં દુધીપુરામાં આતંકવાદીઓ સામેના ક્રોસ ફાયરીંગમાં 3 ક્રિકેટ રમતા છોકરાઓના મોત થયાં જેના કારણે કાશ્મિરમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો થયાં, 2009 શોપીયન રેપ અને મર્ડર કેસ, બારામુલ્લા કિલીંગ 2009, ખાઈગામ કિલીંગ 2009, રામબાન ફાયરીંગ વગેરે જેવી ઘટનાઓએ આર્મી સામેની નફરતમાં વધારો કર્યો.
ઉપરાંત અલગતાવાદી સંગઠનોએ આવા બનાવો બાદ કાશ્મિરી યુવકોમાં ભારત વિરૂદ્ધ ઝેર ફેલાવાનું શરૂ કર્યું, પાકિસ્તાને પણ લાગ જોઈને અલગતાવાદીઓને મદદ કરવાનું શરૂ કર્યું. ઘણા પ્રદર્શનો તો અલગતાવાદી સંગઠનો પ્રેરીત હોવાનું પણ કહેવામાં આવ્યું. આ બધી ઘટનાઓના કારણે કાશ્મિરની પ્રજામાં ભારતીય આર્મી અને AFSPA સામે વિરોધનો વંટોળ શરૂ થયો. આર્મી હટાવી લેવાની માંગ સાથે ભારતથી આઝાદ થવા માટે સર્વમતની માગણીઓ શરૂ થઈ. પાકિસ્તાન અને ચીન સાથે સરહદ મળતી હોવાના કારણે કાશ્મિરમાંથી સૈન્ય હટાવી શકાય તેવી કોઈ શક્યતા નથી. ઉપરાંત વારંવારની માગ છતાં AFSPAને હટાવી લેવા તથા તેમાં ફેરફાર કરવા માટે કોઈ ચર્ચા વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી નથી. છાશવારે પાકિસ્તાન તરફથી સરહદ પારથી થતા ગોળીબારો અને અલગતાવાદીઓ સ્પોન્સર્ડ પ્રદર્શનો તથા કર્ફ્યુને શાંતિ સમજીને જીવનારી પ્રજાની લાગણીઓ તથા દુ:ખનો અંદાજ કદાચ આપણા માટે મુશ્કેલ છે. આપણે કાશ્મિર એટલે પર્યટન, શિકારા, જેલમ, દાલ લેક, બર્ફ અને હિમાલય આથી વધારે જાણવાની તસ્દી લેતા નથી. ટ્રાફિક પોલીસ દ્વારા માગવામાં આવતા ડ્રાયવિંગ લાયસન્સ બતાવતી વખતે પણ પાંચ વગદાર લોકોને ફોન કરીને રોફ જમાવનારા આપણને કદાચ આપણી હયાતી અને નાગરીકત્વનો પૂરાવો ગણાતા ઓળખપત્ર લઈને સતત ફરવાનું નહીં સમજાય.



 

Friday, 10 October 2014

AFSPA અને કાશ્મિર

 

એક એવો કાયદો જેના કારણે ભારતીય સૈન્ય વિરુદ્ધ કાશ્મિરના લોકોમાં રોષની લાગણી પેદા થઈ.

જમ્મુ-કાશ્મિર અને પૂર્વોત્તરના રાજ્યો વિશે જ્યારે વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલા બે બાબતો સામે આવે. ત્યાંનું કુદરતી સૌંદર્ય અને આર્મી. આ રાજ્યોમાં સૌથી વધારે આર્મી સામે રોષ ફેલાયેલો છે. આપણે જેમ સૈન્યના જવાનને માનથી જોઈએ તેમ કદાચ આ રાજ્યોમાં લોકો જવાનોને નફરતથી જોતા તમને જોવા મળે. આર્મી અને પેરામિલિટરી ફોર્સીસ સામેનો તેમનો રોષ છે એક અમાનવિય કાયદાના કારણે.

ભારતને આઝાદી મળી ત્યારથી જ કાશ્મિર હંમેશા સળગતો મુદ્દો રહ્યું છે. કાશ્મિરના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધોની નોબત પણ આવી. 1988ની ચુંટણીનો અલગતાવાદી સંગઠનો દ્વારા બહિષ્કાર કર્યા બાદ કાશ્મિરમાં આતંકી હુમલાઓમાં વધારો થયો અને આઝાદ કાશ્મિરની માગ પ્રબળ બની. કાશ્મિરના ઘણા સંગઠનોએ ભારતથી આઝાદ થવા માટે આ ગાળામાં રીતસરનો મોરચો માંડ્યો. સતત વધી રહેલા આતંકી હુમલાઓ અને ભારત સામેના દેખાવોને ડામવા માટે ભારત સરકારે ભારતીય સૈન્ય કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે તે માટે 1990માં Armed Forces Special Power Act (AFSPA) જમ્મુ-કાશ્મિરમાં લાગુ કરી દીધો. આ કાયદો આર્મી અને પેરામિલિટરી ફોર્સને કેટલાક ખાસ અધિકારો આપે છે.

Photo courtesy: www.hrw.org
AFSPA એક એવો કાયદો છે જેમાં માનવઅધિકારોને કોઈ સ્થાન નથી. આ કાયદા અંતર્ગત આર્મી અને પેરામિલિટરીના જવાનો કોઈપણ વ્યક્તિને માત્ર શંકાના આધારે વૉરંટ વિના ધરપકડ કરી શકે અને જરૂર પડે તો તેને ગોળી મારી હત્યા પણ કરી શકે, કોઈપણ સ્થળે શંકાના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરી શકે, વાહનનાં હથિયારો કે દારૂગોળો લઈ જવાની શંકાના આધારે તેની તપાસ કરી શકે,  આ કાયદા દ્વારા આર્મીને કાયદાકીય સંરક્ષણ મળે છે. સૈન્યના અધિકારી પર કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કેન્દ્ર સરકારની મંજૂરી વિના કરી શકાતી નથી. આ પ્રકારની અમર્યાદીત સત્તાના કારણે જમ્મુ-કાશ્મિરમાં કથિત રીતે આર્મી અને પેરામિલિટરીના જવાનોએ તેનો દુર ઉપયોગ કર્યો. કાશ્મિરમાં જ્યારે હિંસા તેની ચરમસિમા પર હતી ત્યારે આર્મીની કાર્યવાહીમાં નિર્દોષ લોકોના કથિત રીતે મોત થયા તથા આર્મીના જવાનો પર મહિલાઓ પર રેપના પણ આરોપો લાગવાના શરૂ થયા. 1990 થી 2009 સુધીમાં 8000 લોકો ગુમ થયાં, આર્મી દ્વારા પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યાના કિસ્સાઓ, આશરે 2700 જેટલી સામૂહિક કબરો મળી આવી કે જેમાં દફનાવાયેવા લોકો કોન છે તેની કોઈ માહિતી ન હતી. આવી કબરોમાં કથિત રીતે આર્મી દ્વારા મારવામાં આવેલા આતંકવાદીઓને દફનાવાયા હોવાનું કહેવામાં આવ્યું, કથિત રીતે ફેક એન્કાઉન્ચરના કેસ સામે આવ્યા, આર્મી દ્વારા સતત ચાલતા સર્ચ ઓપરેશનો અને છાશવારે લાદવામાં આવતા કર્ફ્યુ તથા લોકો પર સતત વધતા ટોર્ચરને કારણે સામાન્ય લોકોની લાગણીઓ આર્મી સામે નફરતમાં પરીણમી. આ બધી જ કાર્યવાહીને AFSPAનું સંરક્ષણ મળી રહેતું હતું.

Photo courtesy: www.kashmirgloble.com
રેપ અને નિર્દોષ લોકોની કથિત રીતે આર્મી દ્વારા કરાયેલી હત્યાઓ સામે કાર્યવાહીની માગ જોર પકડવા લાગી, મહિલાઓ પણ વિરોધમાં શેરીઓમાં ઉતરી આવી, આર્મી સામે આશરે 900 જેટલા કેસ થયા. તપાસ થઈ પરંતુ આર્મી દ્વારા 95 ટકા કેસને ખોટા ગણાવી રદ્દ કરવામાં આવ્યા. જમ્મુ-કાશ્મિરમાં આર્મીના અધિકારીઓ દ્વારા થયેલા જાતિય સતામણીના માત્ર ત્રણ કેસ જ પેપર છે. Amnesty Internationalના જણાવ્યા પ્રમાણે જાતિય સતામણીના કિસ્સાઓની સંખ્યા ઘણી વધારે છે. દેશમાં જાતિય સતામણીના બનાવોની તપાસ કરવા નિમાયેલી જસ્ટીસ વર્માની કમિટીએ સુચન કર્યું કે AFSPA અંગે ફેરવિચારણા થવી જોઈએ. સતત આર્મી દ્વારા કથિત ટોર્ચર અને હેરાનગતિ તથા હિંસામાં થઈ રહેલા વધારાને કારણે આ વિસ્તારોમાંથી ભારતીય આર્મી હટાવી લેવાની માગણી શરૂ થઈ. જે હાલમાં પણ પ્રવર્તે છે. 
 
લોકોમાં શા માટે ભારતીય આર્મી અને પેરામિલિટરી ફોર્સીસ સામે નફરતની લાગણી પેદા થઈ? કયા એવા મહત્વના બનાવો હતા જેના કારણે આર્મીને કાશ્મિરમાંથી દુર કરવા અને AFSPAને હટાવવા માટે લોકોમાં માગણી પ્રબળ બની તેમજ માનવ અધિકાર સંગઠનોએ પણ તેમાં સાથ પૂરાવ્યો. એ આગળના બ્લોગમાં.




15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...